
હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી… CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત ટીકાઓથી નારાજ થઈને રજનીકાંતે ચેન્નાઈમાં પોતાના નિવાસ્થાને એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી તમિલનાડુના રાજકારણમાં જાેસેફ વિજયની પાર્ટી TVK એ સૌથી મોટી પાર્ટી બનીને નાની પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવી છે. ત્યારે પરિણામો બાદ પૂર્વ સીએમ એમ કે સ્ટાલિન સાથે રજનીકાંતની મુલાકાતને લઈને એવી વાતો વહેતી થઈ હતી કે રજનીકાંત, વિજય સીએમ બને તેનાથી ખુશ નથી અને તેમને ઈર્ષ્યા થઈ રહી છે. આ ટીકાઓથી નારાજ થઈને રજનીકાંતે ચેન્નાઈમાં પોતાના નિવાસ્થાને એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. રજનીકાંતે આક્ષેપો કરનારાઓને જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે જાે તેઓ અત્યારે મૌન રહેશે, તો લોકો અફવાઓને જ સાચું માની લેશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજનીકાંતે જણાવ્યું કે તેઓ પોતે રાજકારણમાં નથી, તેથી વિજયના સીએમ બનવાથી તેમને ઈર્ષ્યા થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.
મારે વિજયની ઈર્ષ્યા શા માટે કરવી જાેઈએ? હા, જાે કમલ હાસન સીએમ બન્યા હોત તો કદાચ મને થોડી ઈર્ષ્યા થઈ શકી હોત! હું બિનજરૂરી બાબતો પર બોલું તેવો કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી.
રજનીકાંતે કહ્યું કે તેમની અને વિજય વચ્ચે આશરે ૨૫ વર્ષનો મોટો જનરેશન ગેપ છે. તેમણે વિજયને તેની શરૂઆતના દિવસોથી જાેયો છે, તેથી તેઓ વિજય મુખ્યમંત્રી બને તેની સામે શા માટે વાંધો ઉઠાવે? તેઓ વિજયની આ સફળતાથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.
રજનીકાંતે સ્વીકાર્યું કે પોતાની પહેલી જ ચૂંટણીમાં વિજય આટલી મોટી સફળતા મેળવીને સીએમ બની જશે તે જાેઈને તેઓ પણ થોડા આશ્ચર્યચકિત થયા હતા, પરંતુ પરિણામો આવતાની સાથે જ તેમણે વિજયને ફોન કરીને અભિનંદન આપી દીધા હતા.
ચૂંટણી પરિણામો બાદ રજનીકાંતે DMK પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની મુલાકાત લીધી હતી, જેની સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ટીકા થઈ હતી. આ મુદ્દે સ્પષ્ટતા કરતા રજનીકાંતે જણાવ્યું કે સ્ટાલિન સાથે તેમનો સંબંધ ત્રણ દાયકા એટલે કે ૩૦ વર્ષ જૂનો છે. તેઓ એક મિત્ર તરીકે તેમને મળવા ગયા હતા. સ્ટાલિનની હાર તેમના માટે ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ હતી. પરંતુ આ મુલાકાતને તમિલનાડુમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલી ડીલ સાથે જાેડી દેવામાં આવી. રજનીકાંતે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે હું આવા ગંદા રાજકારણમાં ક્યારેય સામેલ ન થઈ શકું અને જે લોકો મારા વિશે આવું વિચારે છે તે તદ્દન ખોટું છે.





