
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ૩૮૪ જીવન રક્ષક દવાઓ પર ‘ઈમરજન્સી ભાવ વધારો’ કરાશે દવાઓના પેકેજિંગ મટીરિયલ અને આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) પણ ખૂબ વધી ગયો મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) સંકટ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને દૂધ બાદ હવે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો આંચકો આવવાની તૈયારીમાં છે. દેશમાં જીવન રક્ષક દવાઓ મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) ઉદ્યોગ પર પડી રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ૩૮૪ આવશ્યક અને જીવન રક્ષક દવાઓની કિંમતોમાં એક વખત માટે ‘આપાતકાલીન વધારો’ કરવાની મંજૂરી આપી શકે છે. જાે કે, રાહતની વાત એ છે કે આ વધારો અસ્થાયી હશે. જેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સામાન્ય થશે અને કાચા માલની સપ્લાય શરૂ થશે, તેમ જ આ વધેલી કિંમતો પાછી ખેંચી લેવામાં આવશે. હાલ આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય ચર્ચા ચાલી રહી છે.ભારતીય દવા ઉદ્યોગના મતે, મિડલ ઈસ્ટ સંકટના કારણે દવાઓ બનાવવા માટે જરૂરી કેમિકલ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સની કિંમતોમાં ૨૦૦ થી ૩૦૦ ટકાનો તોતિંગ વધારો થયો છે. આ ઉપરાંત દવાઓના પેકેજિંગ મટીરિયલ અને આંતરરાષ્ટ્રીય પરિવહન ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) પણ ખૂબ વધી ગયો છે, જેના કારણે કિંમતો વધારવી અનિવાર્ય બની છે.





