
મધ્યસ્થી બનેલાં અમેરિકાએ મંત્રણાને અર્થસભર ગણાવી જિનીવામાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ઘટાડવાનો પ્રયાસ નિષ્ફળ
વાટાઘાટોના પ્રથમ દિવસે રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા કર્યા હતાં, જેમાં બે બાળકના મોત થયા હતા.
અમેરિકાની મધ્યસ્થીમાં જિનવા ખાતે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો યોજાઈ હતી. આગામી સપ્તાહે રશિયા-યુક્રેન યુદ્ધના ચાર વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે વાટાઘાટો બાદ બંને દેશોએ કોઈ ફળદાયી પરિણામ મળવાની શક્યતા નકારી દીધી હતી. સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં યુક્રેન-રશિયા વચ્ચે વાટાઘાટોનો ત્રીજાે રાઉન્ડ યોજાયો હતો. અગાઉ અબુ ધાબી ખાતે બંને દેશના પ્રતિનિધિ મળ્યા હતા, પરંતુ તેમાં યુદ્ધ વિરામના સંકેત નહીં મળતા અમેરિકાની મધ્યસ્થીમાં ફરી એક વખત વાટાઘાટોનું આયોજન થયુ હતું. અગાઉ અબુ ધાબીમાં મંત્રણા હકારાત્મક હોવાનું બંને દેશ જણાવી ચૂક્યા હતા, પરંતુ નક્કર પ્રગતિ હાંસલ થઈ ન હતી. ત્રીજા રાઉન્ડ બાબતે બંને દેશ સકારાત્મક નથી.યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, વાટાઘાટો સરળ ન હતી અને તે પડી ભાંગી છે.
ઝેલેન્સ્કીએ સૈન્યની દૃષ્ટિએ આ વાટાઘાટોને સકારાત્મક કહેતાં ઉમેર્યુ હતું કે, બંને દેશના સૈન્ય દળો ભવિષ્યમાં શસ્ત્રવિરામ પર દેખરેખ માટે સંમત થયા છે. અમેરિકાના નેતૃત્વમાં ત્રીજા પક્ષો શસ્ત્ર વિરામ પર નજર રાખી શકે છે. ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે આ મંત્રણામાં અર્થસભર પ્રગતિ સધાઈ છે. વાટાઘાટોના પ્રથમ દિવસે એટલે કે મંગળવારે રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા કર્યા હતાં, જેમાં બે બાળકના મોત થયા હતા. રશિયાએ ૧૨૬ મિસાઈલ પણ ઝીંકી હતી.




