
કથિત લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ નિર્દોષ સાબીત થતા દિલ્હીના જંતર-મંતર ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના શિર્ષ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતાઓ જંતર-મંતરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. આ તકે સભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટીનો જંતર-મંતરથી શરૂ થતો કાર્યક્રમ ફરી એકવાર દર્શાવે છે કે ભારતના લોકોએ અરવિંદ કેજરીવાલજીને કટ્ટર ઈમાનદાર તરીકે માન્યતા આપી છે. આજ માટે સમગ્ર દેશની નજર જંતર-મંતર પર છે. મિત્રો, આજે આ કાર્યક્રમમાં તમે દુર-દૂરથી આવ્યા છો અને એ માટે હું તમારો આભાર માનું છું. આજે ગુજરાત હોય, પંજાબ, ગોવા કે સમગ્ર ભારત, લોકોની નજર જંતર-મંતર પર છે. આમ આદમી પાર્ટીએ હવે આગળ વધવાનું શરૂ કરી દીધુ છે. સત્ય ક્યારેય છુપાવી શકાતું નથી. જેમ સૂર્ય ઉગે છે અને તેને છુપાવી શકાતું નથી, તેમ રાજકારણમાં પણ સત્ય હંમેશા સામે આવે છે. અરવિંદ કેજરીવાલજી રાજકારણનો એ સૂર્ય છે અને તેઓ ફીનિક્સ પક્ષીની જેમ ઊભા રહેતા જાણે છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયાજી અને અરવિંદજી આ બધાને જેલ જવું પડ્યું, અને તે માટે થોડા અમે પણ જવાબદાર છીએ. કારણ કે અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને સત્યેન્દ્ર જૈનજી ગુજરાતમાં આવીને કહેતા કે 30 વર્ષના ભાજપ શાસન પછી ત્યાં સારી શાળાઓ નથી બની. મનીષજી એ શિક્ષણ ક્ષેત્રમાં જતા શાળાઓની વ્યવસ્થા સુધારવા પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે ભાજપે મનીષજીને જેલ મોકલવાનો નિર્ણય કર્યો. જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલશે, તેને જેલ જવું જ પડશે. મહાત્મા ગાંધી ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ ગયા., જેમણે ક્રાંતિ કરી, તેમને જેલ જવું પડ્યું. પરંતુ જેલ જવું ખરાબ નથી, જો લોકો માટે જવું પડે તો, પરંતુ જેલ જવાના ડરથી ભાગી જવું એ ખરાબ છે. અરવિંદ કેજરીવાલજી ભારતના પ્રથમ મુખ્યમંત્રી હતા જે મુખ્યમંત્રી હોવા છતાં જેલમાં ગયા હતા. કોંગ્રેસના મોટા નેતાઓ પણ આ વાત કહી રહ્યા છે. આમ આદમી પાર્ટી એવી છે જે સાચા લોકો માટે લડી રહી છે. ભાજપ કહે છે કે કોંગ્રેસે 70 વર્ષ દેશને લૂંટ્યો તો ED કેમ કોંગ્રેસના નેતાઓને જેલમાં નથી નાખતી? કારણ કે ભાજપ કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે. હું ગુજરાતની ધરતી પરથી આવી રહ્યો છું, જ્યાં ગોપાલ રાયજી, દુર્ગેશભાઈ, ગુલાબભાઈ અને આખી ટીમ કાર્યરત છે. આજે, જયારે અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયા અને આખી ટીમને અદાલતે નિર્દોષ જાહેર કરી છે અને કહ્યુ કે આ ફર્જી કેસ છે, ત્યારે સમગ્ર ગુજરાત અરવિંદ કેજરીવાલજીની રાહ જોઈ રહ્યો છે. હવે, અમે ગુજરાતમાં પણ ૨૦૨૭માં સારી શાળાઓ, સારી હોસ્પિટલ અને ઈમાનદાર રાજકારણ લાવીશું.




