
આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઇ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં તમામ જાતિઓ ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલીમાં યોજાયેલી સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશનું મંદિર છે, તેથી આજે હું સૌરાષ્ટ્રની ધરતી પર આશીર્વાદ લેવા આવ્યો છું. ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારથી લોકોને મુક્તિ મળે તેવા આશીર્વાદ માટે હું અહીં આવ્યો છું. સૌરાષ્ટ્રની 48 સીટોમાંથી 40 સીટ તમે ભાજપને આપી, પરંતુ બદલામાં તમને શું મળ્યું? ધક્કા મળ્યા, ગાળો મળી, અપમાન મળ્યું, ડંડા મળ્યા, જેલ મળી. છેલ્લા 30 વર્ષમાં ભાજપે શું આપ્યું? રસ્તા બનાવે છે તો 2 દિવસમાં તૂટી જાય છે, મોરબીનો પુલ તૂટી ગયો અને બીજા ઘણા પુલ તૂટી ગયા, તો આ બધાના પૈસા ક્યાં જાય છે? મને કેટલાક ખેડૂત મળ્યા જેમણે કહ્યું કે તેમની મગફળીનો પાક બરબાદ થઈ ગયો હતો અને ત્યારબાદ સરકારે 10000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પરંતુ સાંભળવામાં આવ્યું કે ખેડૂતોને પૈસા મળ્યા નથી. તો મારો સવાલ છે કે એ 10000 કરોડ ક્યાં ગયા? ખાઈ ગયા આ લોકો 10000 કરોડ? જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ જેવી કોઈપણ વસ્તુ માટે પૈસા આપવા પડે છે. તમે લોકો 30 વર્ષથી અલગ અલગ પાર્ટી અને નેતાઓને મત આપતા આવ્યા, પરંતુ તમને કંઈ મળ્યું નથી કારણ કે તે નેતાઓ કોઈના સગા નથી, તેથી મારી અપીલ છે કે આ વખતે તમે પોતાને મત આપો અને પોતાની જનતાની સરકાર બનાવો.
આગળ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ જણાવ્યું કે, પંજાબમાં પણ જનતાની સરકાર બની છે. આમ આદમી પાર્ટી કોઈ સામાન્ય પાર્ટી નથી, તે એક આંદોલન છે, દેશને પ્રગતિ તરફ લઈ જવાનું નામ છે. ભગવંત માન કોઈ નેતા નથી પરંતુ ખેડૂતનો દીકરો છે. મારા પિતાજી, ઈસુદાન ગઢવીના પિતાજી કે ગોપાલ ઇટાલિયાના પિતાજી કોઈ નેતા ન હતા. અમે બધા તમારા બાળકો છીએ, અમે સામાન્ય લોકો છીએ. પંજાબમાં અમારા 96 ધારાસભ્યો છે, જેમાંથી 80થી વધુ પ્રથમ વખત જીત્યા છે અને બધા સામાન્ય પરિવારોમાંથી આવે છે. અહીં ધારાસભ્યનો દીકરો ધારાસભ્ય બને છે અને તેની પત્ની પણ ધારાસભ્ય બને છે, ભાજપમાં નેતાઓના બાળકોને જ ટિકિટ મળે છે, શું તમારા બાળકોને ટિકિટ મળે છે? આમ આદમી પાર્ટી તમારા બાળકોને ટિકિટ આપશે અને તમારી સરકાર બનાવશે.

આગળ તેમણે જણાવ્યું કે, પંજાબ અને ગુજરાત બંને ખેડૂતોની ધરતી છે. પંજાબમાં ખેડૂતો માટે કામ થાય છે પરંતુ ગુજરાતમાં રાત્રે 2-3 વાગ્યે વીજળી આવે છે. પંજાબમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મફત વીજળી આપવામાં આવે છે. પહેલા આવું નહોતું પરંતુ ખેડૂતનો દીકરો મુખ્યમંત્રી બનતા આખી સિસ્ટમ બદલાઈ ગઈ. પહેલા પંજાબમાં 20% જમીનને જ સિંચાઈ મળતી હતી પરંતુ અમારી સરકાર આવ્યા બાદ 70% ખેતરો સુધી પાણી પહોંચ્યું છે અને આવતા વર્ષે 90% સુધી પહોંચશે. પંજાબ એકમાત્ર રાજ્ય છે જ્યાં ખેતી માટે વીજળી મફત છે. ગુજરાતમાં 30 વર્ષ પછી પણ મફત વીજળી નથી તો ખેડૂતોને શું મળ્યું? અહીં નેતાઓ અને અમીરોની સરકાર છે. પંજાબમાં અમારી સરકાર 24 કલાક લોકો માટે કામ કરે છે. પંજાબમાં ખેડૂતોની આખી પાક ખરીદવામાં આવે છે અને સાંજ સુધી પૈસા મળી જાય છે. મૈં અહીં છાપામાં વાંચ્યું કે ખેડૂતોને ત્રણ-ત્રણ મહિના સુધી પૈસા મળતા નથી.
આગળ તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં દર વર્ષે કેરીની ખેતી બરબાદ થાય છે પરંતુ કોઈ વળતર નથી. કેમ કે તેના માટે કોઈ પોલિસી જ નથી. ઇકો ઝોનના કાયદાથી ખેડૂતો હેરાન છે. શું આ કાયદો દૂર થવો જોઈએ? વન વિભાગના લોકો ખેડૂતોને હેરાન કરે છે. આ બધું એટલે થાય છે કે તમે અત્યાર સુધી નેતાઓને મત આપ્યા, હવે તમારી સરકાર બનાવો તો પંજાબ જેવી વ્યવસ્થા ગુજરાતમાં પણ થશે. તમે 48માંથી 40 સીટ ભાજપને આપી અને 4 સીટ આમ આદમી પાર્ટીને આપી, અને અમે આ 4 સીટ માટે આભારી છીએ. આજે ભાજપના લોકો તમને ડંડા મારે છે ત્યારે તમને બચાવવા અમારા લોકો આગળ આવે છે, જેલમાં જવા માટે પણ અમે તૈયાર છીએ. ચૈતર વસાવા જેલ ગયા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા અને ઘણા નેતાઓને જેલમાં નાખ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. જ્યારે મને પણ જેલમાં નાખ્યો ત્યારે હું પણ ના ડર્યો, એમ અમારા એક પણ નેતા કે કાર્યકર્તા જેલમાં જવાથી ડરતા નથી. તમે અમને 4 સીટો આપી તો પણ અમે તમારી માટે લડી રહ્યા છીએ, તો વિચારો કે જો અમારી સરકાર આવશે તો કેટલું કામ થશે, ગુજરાતનો નકશો જ બદલાઈ જશે.
આગળ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, પંજાબમાં અમે એટલું સારું કામ કરી રહ્યા છીએ કારણ કે ત્યાં એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર થતો નથી. તમે સૌને જાણીને આશ્ચર્ય થશે કે આજે સવારે મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે પોતાની જ પાર્ટીના એક ધારાસભ્યને જેલમાં નાખ્યો કારણ કે તે ભ્રષ્ટાચાર કરી રહ્યો હતો. બીજી પાર્ટીમાં જો કોઈ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરે તો મુખ્યમંત્રી પોતાનો ભાગ માંગે છે. પંજાબમાં અમે ભ્રષ્ટાચાર મૂળથી ખતમ કરી દીધો છે અને જનતાનો એક-એક પૈસો જનતા પર જ ખર્ચ થાય છે. પંજાબમાં કેટલાક લોકોએ માન સાહેબને કહ્યું કે સીટી સ્કેન, કેન્સર જેવા મોટા સારવારમાં લાખો રૂપિયા ખર્ચ થાય છે અને ગરીબો પાસે પૈસા નથી, તો આ સાંભળીને ભગવંત માન સાહેબે કહ્યું કે તેઓ એવી વ્યવસ્થા કરશે જ્યાં મુખ્યમંત્રીની સારવાર થાય છે ત્યાં ગરીબ માણસની પણ મફતમાં સારવાર થશે. અને આજે અમે પંજાબમાં દરેક પરિવાર માટે 10 લાખનો ઈન્શ્યોરન્સ કરાવ્યો છે. જ્યાં કરોડપતિ સારવાર કરાવે છે તેવા ફાઈવ સ્ટાર હોસ્પિટલોમાં હવે ગરીબ ખેડૂત પણ પોતાની 10 લાખ સુધીની સારવાર મફતમાં કરાવી શકે છે. ગુજરાતમાં પણ આવી જ વ્યવસ્થા અમે બનાવશું જ્યારે તમે તમારી સરકાર બનાવશો. ભાજપ અને કોંગ્રેસે દેશનો નાશ કરી દીધો છે તો તેમને ઉખેડીને ફેંકવા પડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની જશે તો જ્યાં અમિત શાહ પોતાની સારવાર કરાવે છે ત્યાં સામાન્ય લોકોની પણ અમે સારવાર કરાવીશું અને તમારે કોઈ પૈસા આપવા પડશે નહીં. બીજી પાર્ટીના લોકો મને ગાળો આપે છે પરંતુ હું અહીં કોઈને ગાળો આપતો નથી કારણ કે હું માત્ર જનતાની વાત કરવા આવ્યો છું, હું ગુજરાતની પ્રગતિની વાત કરું છું, તમારા બાળકોની વાત કરું છું. પંજાબમાં દરેક મહિલાને દર મહિને હજાર રૂપિયા મળશે. જો એક ઘરમાં 18 વર્ષથી વધુ ઉંમરની ત્રણ મહિલાઓ છે તો તે ઘરને દર મહિને ₹3000 મળશે. તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતની દરેક 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પણ દર મહિને ₹1000 આપવામાં આવશે.
અંતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, હાલમાં ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની છે, તો અમે આ ચૂંટણીમાં તમારા બાળકોને એટલે કે સામાન્ય લોકોના બાળકોને ટિકિટ આપશું. અહીં અમારી પાર્ટીના બેઠેલા પદાધિકારીના ભાઈ કે બાળકોને અમે ટિકિટ નહીં આપીએ. તમે લોકો ટિકિટ માટે અરજી કરો, અમે તમારા બાળકોને ટિકિટ આપશું, આમ આદમી પાર્ટી તમારે ચલાવવાની છે, આમ આદમી પાર્ટીનો નેતા તમારે બનવાનું છે અને તમારે તમારી સરકાર બનાવવાની છે. જિલ્લા પંચાયતની ચૂંટણી એક રીતે સેમિફાઈનલ છે. આગામી ડોઢ-બે વર્ષ પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી છે તો તેના પહેલા જિલ્લા પંચાયતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભારે મત આપી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી છે. તમને અને તમારા બાળકોને પંચાયત અને નગરપાલિકામાં મોકલવા છે અને આ રીતે આપણે સૌ મળીને ગુજરાતને પ્રગતિના માર્ગ પર આગળ લઈ જવું છે.
અમરેલીમાં સભાને સંબોધિત કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી, જેમણે સામાન્ય લોકો માટે આમ આદમી પાર્ટી બનાવી, સામાન્ય લોકોની ભલાઈ માટે આ પાર્ટી બનાવી હતી. અને આ પાર્ટી એટલી ઝડપથી દેશમાં ફેલાઈ કે આજે માત્ર દસ-બાર વર્ષમાં જ નેશનલ પાર્ટી બની ગઈ છે, કારણ કે તેમાં સામાન્ય લોકો આવે છે અને સામાન્ય લોકોની ભલાઈ માટે કાયદા બનાવવામાં આવે છે. જેમ કે મારા પહેલા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્યારે સરકારી શાળાઓ ખૂબ સારી બની ગઈ હતી, મોહલ્લા ક્લિનિકમાં મફત દવાઓ અને સારવાર મળતી હતી, ગરીબો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના જીવનમાં સુધારો આવ્યો હતો અને લોકોને રોજગાર મળતો હતો. ત્યારબાદ જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે બધું બંધ કરી દેવામાં આવ્યું અને મોટા ઉદ્યોગપતિઓને લાભ અપાયો. જે ખાનગી શાળાઓ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે ફી વધારી શકતી નહોતી, આજે તે જ મનમાની કરી રહી છે. પંજાબમાં અમારી સરકાર ચાલી રહી છે. અહીં બેઠેલી માતાઓ અને બહેનો અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમના વિના ઘર નહીં ચાલે તો દેશ પણ નહીં ચાલે. જો માતા અને બહેનોનો આશીર્વાદ મળી જાય તો માણસ કોઈ પણ મંજિલ હાંસલ કરી શકે છે. પંજાબમાં અમે દરેક પરિવાર માટે 10 લાખ રૂપિયા સુધી મફત સારવારનું કાર્ડ બનાવી રહ્યા છીએ જેથી કોઈપણ વ્યક્તિ પૈસાની અછતને કારણે સારવારથી વંચિત ન રહે. હવે પંજાબમાં કોઈના પિતા, ભાઈ, બહેન અથવા બાળકનું સારવાર પૈસા ન હોવાને કારણે અટકશે નહીં. અમે દરેક પરિવાર માટે 10 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમો સુનિશ્ચિત કર્યો છે. અમે આ પણ ખાતરી આપી છે કે મહિલાઓને દર મહિને આર્થિક સહાય આપવામાં આવશે, સામાન્ય વર્ગની મહિલાઓને 1000 રૂપિયા અને અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગની મહિલાઓને 1500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. એક ઘરમાં ત્રણ કે ચાર મહિલાઓ હોય તો પણ તમામને આ સહાય મળશે. આ મહિલાઓને સન્માન આપવા માટેનો પ્રયાસ છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે આવનારી ચૂંટણીમાં જનતાએ યાદ રાખવું પડશે કે છેલ્લા 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસે મળીને જનતાને લૂંટી છે. હવે આમ આદમી પાર્ટી એક નવો વિકલ્પ બનીને સામે આવી છે. તેમણે અપીલ કરી કે ઝાડૂ ચૂંટણી ચિહ્નનું બટન દબાવી આ 30 વર્ષની ગંદકી સાફ કરો. તેમણે કહ્યું કે EVMનું બટન કોઈ પાર્ટીનું નહીં પરંતુ તમારા અને તમારા પરિવારના ભવિષ્યનું બટન છે. સાચું બટન દબાવવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે. ભગવંત માને ગુજરાતના મોડલ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે આજે દેશમાં ઘણા સ્થળોએ સમસ્યાઓ છે, ખેડૂતોને સમયસર ચુકવણી મળતી નથી, જેના કારણે તેમના પર કર્જનો ભાર વધે છે અને તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી જાય છે. તેના વિરુદ્ધ પંજાબમાં ખેડૂતોને MSP પર પાકના પૈસા સમયસર તેમના ખાતામાં મળી જાય છે. તેમણે કહ્યું કે ખેડૂતને ‘અન્નદાતા’ કહેવાય છે પરંતુ બદલામાં તેને શું મળે છે..? કર્જ અને મુશ્કેલી. તેમણે આરોપ લગાવ્યો કે જે નેતાઓ ખેડૂતોના પક્ષમાં બોલે છે, તેમના સામે કેસ દાખલ કરીને તેમને જેલમાં નાખવામાં આવે છે. પરંતુ હવે અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ જનતા વચ્ચે આવી ચૂક્યા છે, જે ઈમાનદાર રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે સાચી સત્તા તેમની હોય છે જે લોકોના દિલ પર રાજ કરે છે. તેમણે જનતાને અપીલ કરી કે ધર્મ અને જાતિના નામ પર વહેંચતી રાજનીતિથી દૂર રહો અને શિક્ષણ તથા વિકાસને મત આપો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી બાળકોના શિક્ષણમાં સુધારો કરવા આવી છે જેથી તેઓ આગળ જઈને અધિકારી, ડૉક્ટર અને ઇજનેર બની શકે અને ગરીબી દૂર થઈ શકે. અંતમાં તેમણે કહ્યું કે દેશ કોઈ એક વ્યક્તિનો નથી પરંતુ 140 કરોડ લોકોનો છે. આ યુવાનો, વડીલો, માતાઓ અને બહેનોનો દેશ છે. તેથી આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડીને એક નવું અને સારું ભવિષ્ય બનાવો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત, પંજાબ અને આખો દેશ આગળ વધશે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આવનારી ચુંટણીઓ ફક્ત ચૂંટણીઓ નથી પરંતુ આપણા તમામ લોકોની અસ્તિત્વની લડાઈ છે, માટે તમામ જાતિ ધર્મના વાડા ભૂલીને એક થવું પડશે. અમરેલીમાં ઘણા ખેડૂતો મને મળવા આવ્યા અને તેઓએ મને કહ્યું કે તે લોકો પાસેથી જે ટેકાના ભાવે પાક ખરીદવામાં આવ્યો હતો તેના રૂપિયા હજુ સુધી મળ્યા નથી. અમારી સરકારમાં તો નિયમ લાવીશું કે ખેડૂત 300 મણ મગફળી પકવશે તો સરકાર 300 મણ મગફળી ખરીદશે. ખેડૂતોએ જણાવ્યું કે ગત વખત ખેડૂતો પાસેથી 200 મણ મગફળી ખરીદવામાં આવી હતી તેના કારણે ખેડૂતોએ 2024માં ભરી ભરીને ભાજપને મત આપ્યા પરંતુ ત્યારબાદ સરકારે ફક્ત 125 મણ મગફળી ખરીદી. હવે જો આગામી જે તાલુકા પંચાયત – જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તેમાં જો ખેડૂત ભાજપનું બટન દબાવશે તો આ લોકો આગામી ચોમાસામાં જે મગફળી વાવશે તે ફક્ત 40 મણ જ ખરીદાશે. હવે ખેડૂતોની અને અમારે, એમ આપણા તમામ લોકોની જવાબદારીઓ વધી ગઈ છે. મુખ્યમંત્રી પોતાના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, કલેક્ટર પોતાના દીકરાને કલેકટર બનાવવા માંગે છે, ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, પરંતુ આજે ખેડૂત પોતાના દીકરાને ખેડૂત નથી બનાવવા માંગતો. ખેડૂત મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરે અને જો સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દે અને તેમ છતાં પણ જો ખેડૂતો અને તેમના પરિવારો ભાજપને મત આપે તો એમાં વાંક કોનો? વાંક આપણો કહેવાશે અને એટલા માટે જ અમે ખેડૂતોને જગાડવા માટે આવ્યા છીએ.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે જનતાએ વિચારવાનો સમય આવી ગયો છે કે વર્ષોથી એક જ પાર્ટીને મત આપ્યા છતાં સામાન્ય લોકોને આજે પણ નાનામાં નાની બાબતો માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે, હાથ જોડવા પડે છે, પૈસા આપવા પડે છે અને ધમકીઓ સહન કરવી પડે છે, એટલે સ્પષ્ટ થાય છે કે સરકાર લોકોની મૂળભૂત સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. તેમણે જણાવ્યું કે તેઓ અને આમ આદમી પાર્ટીના અન્ય આગેવાનો જનતા વચ્ચે આ બદલાવ માટે આવ્યા છે, કારણ કે ત્રીસ વર્ષથી ભાજપને મત આપ્યા છતાં લોકોના પ્રશ્નો યથાવત્ રહ્યા છે. વિધાનસભાના તાજેતરના સત્રનો અનુભવ શેર કરતા તેમણે કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકારમાં કોઈ ગંભીરતા નથી અને ધારાસભ્યો માત્ર નેતાઓના વખાણોમાં વ્યસ્ત રહે છે. ખેડૂતોને ખેતર સુધી પહોંચવા માટેના રસ્તાના પ્રશ્નો હોય કે પાક વીમા જેવી મૂળભૂત સુવિધાનો અભાવ, ગુજરાત આજે પણ પાછળ છે અને સરકાર ઈચ્છે તો તરત ઉકેલ લાવી શકે છે, છતાં પણ રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે સરકાર ‘મત તો મળી જ જાય છે’ જેવી માનસિકતા સાથે કામ કરી રહી છે, જ્યારે સામાન્ય માણસ, ખેડૂત અને મજૂર માટે કોઈ સંવેદના નથી. તેમણે દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારોના ઉદાહરણ આપતા જણાવ્યું કે ત્યાં ખેડૂતોને સીધી આર્થિક સહાય અને ભાગે ખેતી કરનારને પણ મદદ જેવી યોજનાઓ અમલમાં મૂકાઈ છે, જે લોકોના જીવનમાં વાસ્તવિક ફેરફાર લાવે છે. અંતમાં તેમણે જનતાને અપીલ કરી કે આવનારી ચૂંટણીમાં બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીને સમર્થન આપે અને એક જવાબદાર, પારદર્શક અને જનહિતકારી સરકાર રચવામાં સહભાગી બને.

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં સત્તા ધરાવતી સરકારે જનતાનો વિશ્વાસ મેળવ્યા છતાં રાજ્યના યુવાનો, ખેડૂતો, પશુપાલકો અને નાના-મોટા વેપારીઓના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે અને વિકાસના નામે માત્ર લૂંટ અને ભ્રષ્ટાચાર જ વધાર્યો છે. તેમણે જણાવ્યું કે આજે રાજ્યને એક ઈમાનદાર અને વિકલ્પાત્મક રાજકીય શક્તિની જરૂર છે, જે લોકોના ભવિષ્યનું નિર્માણ કરી શકે, અને આ જવાબદારી આમ આદમી પાર્ટી નિભાવવા માટે તૈયાર છે. મનોજ સોરઠીયાએ ભારપૂર્વક કહ્યું કે ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે કે ભાજપ એકમાત્ર વિકલ્પ નથી, પરંતુ આમ આદમી પાર્ટી સાથે નવા નેતૃત્વ રૂપે અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ વિશ્વાસપૂર્વક આગળ આવ્યા છે. તેમણે રાજ્યમાં વધતા અત્યાચાર, મહિલાઓની સુરક્ષા અને બેરોજગારી જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે સત્તાના નશામાં લોકોની સુરક્ષા અને સન્માન સાથે ચેડાં થઈ રહ્યા છે. તેમણે કાર્યકર્તાઓ અને જનતાને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સક્રિય ભાગ લઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી અને જણાવ્યું કે આ ચૂંટણી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત સાબિત થશે, જેમાં એક-એક મત દ્વારા ભ્રષ્ટાચાર સામે લડાઈ લડીને પારદર્શક અને જવાબદાર શાસન સ્થાપિત કરવામાં આવશે.





