
સરકાર નથી આપી રહી મંજૂરીગુજ. યુનિ.માં અધ્યાપકોની ૧૧૦ જગ્યા ખાલી પરંતુ ભરતીના કોઈ ઠેકાણા નહીંયુનિવર્સિટી દ્વારા નવી જગ્યાઓ સાથે ખાલી જગ્યાઓ ભરવાની-ભરતી કરવીની મંજૂરી માંગી છે, પરંતુ હજુ સુધી સરકારે પણ મંજૂરી આપી નથીગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા અનેક વર્ષોથી ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટની કામયી ભરતી જ થઈ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી હંગામી ધોરણે કરાર આધારીત જગ્યાઓ ભરીને ટીચિંગ અને નોન ટીચિંગમાં કામગીરી ચલાવવામા આવી રહી છે. હાલ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોની એટલે કે શૈક્ષણિકની ૧૧૦ જગ્યાઓ ખાલી છે. ૫૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોઈ નેકની ટીમે પણ આ વર્ષે ઈન્સપેકશન બાદ આપેલા રિપોર્ટમાં જગ્યાઓ ખાલી હોવા મુદ્દે નોંધ કરી હતી. યુનિવર્સિટી દ્વારા નવી જગ્યાઓ સાથે ખાલી જગ્યાઓ ભરવાની-ભરતી કરવીની મંજૂરી માંગી છે, પરંતુ હજુ સુધી સરકારે પણ મંજૂરી આપી નથી. હવે ભરતી કયારે થશે તે મોટો સવાલ છે.
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લે ઘણાં વર્ષો બાદ ઓક્ટોબર ૨૦૨૨માં ટીચિંગ અને નોન ટીચિંગ પોસ્ટની અનેક જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટે મોટી ભરતી જાહેર કરી હતી. જે અંતર્ગત સૌપ્રથમ નોન ટીચિંગ પોસ્ટ માટે અરજીઓ મંગાવી લેવાઈ હતી અને ઈન્ટરવ્યુ પણ ગોઠવી દેવાયા હતા. પરંતુ આંતરિક વિવાદ વચ્ચે આ ભરતી રદ કરી દેવાઈ હતી, જ્યારે ટીચિંગ પોસ્ટ માટે આગળ કોઈ પ્રક્રિયા જ થઈ ન હતી. આ દરમિયાન જુલાઈ ૨૦૨૩માં કોમન યુનિવસિટી એક્ટ લાગુ થઈ ગયો હતો અને ત્યારબાદ અગાઉનાં તમામ ભરતી પ્રક્રિયા રદ કરીને ઉમેદવારોને ૫૦ લાખ જેટલી અરજી ફી પાછી આપી દેવાઈ હતી. પરંતુ ત્યારબાદ ફરીવાર નવી ભરતીને લઈને કોઈ પ્રક્રિયા થઈ નથી કે જાહેરાત થઈ નથી. દર વર્ષે ઓક્ટોબરમાં ટીચિંગ-નોન ટીચિંગમાં કામયી અધ્યાપકો-કર્મચારીઓ નિવૃત થતા જાય છે અને જગ્યાઓ ખાલી પડતી જાય છે.
હાલ યુનિવર્સિટીમાં ટીચિંગમાં ૫૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. ઘણાં ડિપાર્ટમેન્ટમાં તો માંડ એકથી બે અધ્યાપક છે અને તેમા પણ સીનિયર અધ્યાપકો છે નહીં, પરંતુ કોમન એક્ટની જાેગવાઈઓ તેમજ અસ્પષ્ટતાઓ અને વિલંબીત મંજૂરીઓ વચ્ચે ભરતી જ થઈ શકતી નથી. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગમાં એજન્ડમાં ભરતીની બાબત મુકાઈ હતી. જેમાં જણાવાયુ હતું કે ઉચ્ચ શિક્ષણ વિભાગના પત્ર મુજબ ખાસ કિસ્સામાં દિવ્યાંગ કેટેગરીની ભરતી કરવા બાબતે વિચારણા કરવી અને અગાઉ કોઈ આદેશ ન મળતાપુન:ચર્ચા વિચારણા કરવી. જ્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગે ગત મે ૨૦૨૫માં મંજૂર કરેલી ૬ જેટલી કાયમી જગ્યાઓ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ભરતી કરવા જણાવ્યું છે. પરંતુ મંજૂર શૈક્ષણિક મહેકમ અંતર્ગત કુલ ૧૧૦ શૈક્ષણિક જગ્યાઓની ભરતી પ્રક્રિયા કરવી પડે તેમ છે. જેમાં દિવ્યાંગની ૧૦ જગ્યા છે.
૧૧૦ જગ્યાની ભરતીની મંજૂરી માટે સરકરારમાં દરખાસ્ત કરવા વિચારણા કરવી તેવુ મંજૂર થયુ હતું.
અગાઉ પણ યુનિવર્સિટી દ્વારા સરકારને અનેકવાર ભરતી માટે મંજૂરી આપવા રજૂઆત કરાઈ છે. હવે સરકારે ડિસેમ્બર પહેલા મંજૂરી આપવી પડે તેમ છે. મહત્ત્વનું છે કે નેકની ટીમે ઇન્સ્પેક્શન સમયે અનેક ટીચિંગ પોસ્ટ ખાલી હોવા મુદ્દે રિપોર્ટમાં ખાસ ટકોર કરી હતી. જેની અસર પણ ગ્રેડિંગમાં દેખાઈ હતી.



