
ધોળકા વિધાનસભા વિસ્તારમાં રાજકીય હલચલ વચ્ચે આમ આદમી પાર્ટીને વધુ મજબૂતી મળી છે. કામની રાજનીતિ અને જનહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી પાર્ટીમાં દિવસેને દિવસે વિવિધ વર્ગોના લોકો જોડાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ જેવા પરંપરાગત પક્ષો ઉપરાંત હવે સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન સાગર રબારીની આગેવાનીમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનેક જાણીતા સામાજિક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા. સામાજિક કાર્યકરોમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ અને જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન સાગર રબારીએ તમામ કાર્યકરોને પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું અને જણાવ્યું કે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સજાગ અને સક્રિય કાર્યકરોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે ખેડૂતો, યુવાનો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોને ઉકેલવા માટે પાર્ટી પ્રતિબદ્ધ છે અને નવા જોડાયેલા કાર્યકરો સાથે મળીને ધોળકા વિસ્તારમાં વિકાસ અને જનહિતના મુદ્દાઓને વધુ જોરદાર રીતે આગળ ધપાવવામાં આવશે. પાર્ટીના કાર્યકરોમાં આ જોડાણને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં આ જોડાણને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.




