આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિતના પ્રદેશ નેતાઓ તેમજ અમદાવાદ શહેરના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ જતિન પટેલ, યાત્રિક પટેલ, મુકેશ ચૌહાણ, ભરત પ્રજાપતિ, સંદીપ શર્મા, પારસ શાહ, રીના પંચાલ અને હર્ષિલ પ્રજાપતિ સહિતના આગેવાનોએ રથયાત્રા અગાઉ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.રથયાત્રા અગાઉ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ગુજરાત સહિત સમગ્ર દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ શુભ પ્રસંગે વાત કરતા ‘આપ’ નેતા ડો. કરન બારોટે જણાવ્યું હતું કે, “જય જગન્નાથ, જય રણછોડ. આજે અમે મહાપ્રભુ જગન્નાથના ચરણે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ. અમે પ્રભુને એટલી જ વિનંતી કરી છે કે તેઓ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ આપે. રથયાત્રા એ સમગ્ર સમાજ માટે એક બહુ મોટો સંદેશ છે. ભગવાન પોતે પોતાના મંદિરમાંથી નીકળીને, રથમાં બિરાજીને ભક્તોના દ્વારે જાય છે. આ ઉત્સવ દર્શાવે છે કે ભગવાન પોતાના ભક્તોને કેટલો પ્રેમ કરે છે! તેઓ કોઈ પણ પ્રકારના જ્ઞાતિ-જાતિના ભેદભાવ કે મતભેદ વગર તમામ ભક્તોને આશીર્વાદ આપે છે, જે આપણી સંસ્કૃતિનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રભુનું નગરચર્યાએ નીકળવું એ સાબિત કરે છે કે ઈશ્વર માટે કોઈ મંદિર કે મહેલ મોટો નથી, પરંતુ ભક્તોનો સાચો પ્રેમ જ સૌથી મહત્ત્વનો છે.
આજે અમે ભગવાન સમક્ષ એ પણ પ્રાર્થના કરી છે કે ગુજરાતની અંદર ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ખેડૂતો અને યુવાનો આજે કોઈ ને કોઈ બાબતે પીડિત છે અને ન્યાય માટે આંદોલનના માર્ગે છે. ખાસ કરીને જનતાના હક માટે લડતા અમારા લોકપ્રિય નેતા ચૈતર વસાવા જેવા લોકહિતના યોદ્ધાઓ, જે આજે જેલમાં બંધ છે, તેમને ભગવાન અન્યાય સામે લડવાની ખૂબ શક્તિ આપે અને તેમના પડખે ઊભા રહે. આ સાથે જ આવતીકાલે યોજાનારી રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય તેવી પ્રભુને મનોકામના છે. રથયાત્રાના આ પવિત્ર મહોત્સવને સફળ બનાવવા માટે જે પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મીઓ અને સેવાભાવી સેવકો દિવસ-રાત સતત મહેનત કરી રહ્યા છે, અમે તે તમામ કર્મયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને તેમને નમન કરીએ છીએ.





