
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગાંધીનગરમાં બજેટ સત્રના પ્રથમ દિવસે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સત્રની શરૂઆત માનનીય રાજ્યપાલના અભિભાષણથી થઈ અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વિસાવદર મત વિસ્તારના તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ખેડૂતોના મતથી તેમને આ ગૌરવશાળી વિધાનસભામાં બેસીને પોતાની વાત રજૂ કરવાનો અવસર મળ્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના લોકોના હિત માટે બોલવાની તક મળવી તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે. આજે વિધાનસભામાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ રીબડિયા અંગે શોક પ્રસ્તાવ રજૂ થયો હતો. તેઓ વિસાવદર ગામ પંચાયતના સરપંચ અને સભાપતિ પણ રહી ચૂક્યા હતા. તેમના પિતા ફુલાબાપાએ જૂનાગઢના નવાબશાસન દરમિયાન ખેડૂતોના દેવા માફી માટે સંઘર્ષ કર્યો હતો અને તે સમયના શાસન દ્વારા અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આજે રાજ્યપાલે એક વ્યકત્વ રજૂ કર્યુ પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે તાજેતરમાં ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી ટ્રેડ ડીલ ખેડૂતો માટે હાનિકારક છે. તેમના જણાવ્યા મુજબ આ એકતરફી ડીલથી અમેરિકાને ફાયદો થશે અને ભારતના ખેડૂતોને નુકસાન થશે. અમેરિકા તરફથી સોયાબીન, કપાસ, દૂધ સહિતના કૃષિ અને પશુપાલન ઉત્પાદનો ભારતમાં ટેક્સ વિના આયાત થશે, તો સ્થાનિક ખેડૂતો માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની જશે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો અમેરિકાનું દૂધ, કપાસ અને સોયાબીન ભારતમાં વેચાવા લાગશે, તો ગુજરાત અને ભારતના ખેડૂતોના ઉત્પાદનોનું શું થશે? તેમણે કહ્યું કે આટલી મોટી ટ્રેડ ડીલ ખેડૂતો માટે નુકસાનકારક હોવા છતાં રાજ્યપાલે પોતાના અભિભાષણમાં આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો નથી.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત મુખ્યત્વે ઉદ્યોગ અને ખેતી આધારિત રાજ્ય છે. જો ખેડૂતો સમૃદ્ધ નહીં હોય, તો રાજ્ય સમૃદ્ધ બની શકતું નથી. પહેલેથી જ ખેડૂતો કુદરતી પરિબળો, બજારની અવ્યવસ્થા, કડદાના કારણે, ખાતર અને પાણીની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતના ખેડૂતોને મદદ કરવાના બદલે અમેરિકાના દબાણમાં આવી એવી ટ્રેડ ડીલ કરવી દુર્ભાગ્યપૂર્ણ છે. દુનિયાનો કોઇ પણ દેશ અન્ય દેશના દબાણમાં આવીને આ પ્રકારની સંધિ કરતો નથી પરંતુ દુ:ખ સાથે કહેવુ પડે છે કે નરેન્દ્ર મોદીની ભાજપની સરકારે અમેરિકાના ખેડૂતો માલામાલ થાય અને ગુજરાતના ખેડૂત બર્બાદ થાય તેવા પ્રકારની ટ્રેડ ડિલ કરી છે. અમે આજે વિધાનસભા ગૃહમાં સુત્રોચ્ચાર કરીને આ ટ્રેડ ડીલનો વિરોધ કર્યો છે. પરંતુ સરકારે ખેડૂતોના ભવિષ્ય અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. અમારી પાર્ટીએ અગાઉથી જ નક્કી કર્યું હતું કે અમે આ ચૂંટણીમાં ભાગ નહીં લઈએ. સદનની સ્થિતિ સ્પષ્ટ છે ભાજપ પાસે 150થી વધુ ધારાસભ્યો છે અને વિરોધ પક્ષ પાસે જરૂરી સંખ્યા નથી. તેમ છતાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉભો કર્યો. તેમણે જણાવ્યું કે જો અમે ચૂંટણીમાં ભાગ લેતા અને કોંગ્રેસ પક્ષના બે ધારાસભ્યો પણ ભાજપને મત આપી દેતા, તો નિરાધાર રીતે અમારી પાર્ટી પર આરોપ મૂકાતે. આવા બિનઆધારિત આરોપોથી બચવા અને પરિણામ પહેલેથી જ સ્પષ્ટ હોવાથી કે બહુમતીના આધારે ભાજપનો ઉમેદવાર જ ચૂંટાવાનો છે એટલે અમે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણીની જાહેરાત વખતે અમે “નોટા” (NOTA)નો વિકલ્પ આપવાની માંગણી કરી હતી, પરંતુ તે આપવામાં આવ્યો નહોતો. જ્યારે લોકસભા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા જેવી ચૂંટણીઓમાં નોટાનો વિકલ્પ ઉપલબ્ધ છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં કેમ નથી? જો અમારે કોઈપણ ઉમેદવારને મત આપવો ન હોય, તો અમને નોટાનો અધિકાર મળવો જોઈએ. અમને જબરદસ્તી ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈને મત આપવા માટે મજબૂર ન કરી શકાય. નોટાનો વિકલ્પ ન મળતા અમે ઉપાધ્યક્ષની ચૂંટણીથી દૂર રહ્યા.
તેમણે આગળ જણાવ્યું કે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાજર નહોતી, ત્યારે કોંગ્રેસ છેલ્લા લગભગ 30 વર્ષથી ભાજપ સામે મજબૂત લડત આપી શકી નથી. 1995 થી 2022 સુધી કોંગ્રેસ સતત પરાજયનો સામનો કરતી આવી છે. તે સમયગાળા દરમિયાન અમે રાજકારણમાં સક્રિય પણ નહોતા. છતાં આજે સામાન્ય પરિવારમાંથી આવેલા યુવાનો સંઘર્ષ કરીને જનતાના આશીર્વાદથી ધારાસભ્ય બને છે, તે બાબત કોંગ્રેસ અને ભાજપ બંનેને સહન થતી નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંને રાજકારણ પર એકહથ્થું પ્રભાવ જાળવવા માંગે છે. પરંતુ વિસાવદર, ડેડિયાપાડા અને જામજોધપુરની જનતાએ આશીર્વાદ આપી સામાન્ય પરિવારોના દીકરાઓને ધારાસભ્ય બનાવ્યા છે. અમારી સામે નિરાધાર આરોપો મૂકવાના બદલે કોંગ્રેસ અને ભાજપ પોતાનું કામ કરે, તો જનતા તેમને પણ આશીર્વાદ આપશે.




