
વંદે ભારત‘નું ભવ્ય આગમન.રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રેલવે કનેક્ટિવિટીનો નવો અધ્યાય.ભારતની અત્યાધુનિક એવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સાબરકાંઠાની ધરતી પર આગમન થતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે આજે ભારે ઉત્સાહ અને ઉમંગ જાેવા મળ્યો હતો. ભારતની અત્યાધુનિક એવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સાબરકાંઠાની ધરતી પર આગમન થતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નહીં, પરંતુ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે વિકાસના સેતુ સમાન સાબિત થશે. હિંમતનગર ખાતે વંદે ભારત ટ્રેનના સ્વાગત માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાબરકાંઠા લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ વિશેષ રૂપે હાજર રહ્યા હતા અને ટ્રેનને આવકારી હતી. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP)સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સમગ્ર સરકારી તંત્ર આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ટ્રેનને નિહાળવા અને તેનું સ્વાગત કરવા સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. ઉદેપુરથી શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેન આજે અસારવા (અમદાવાદ) પહોંચશે.
આ ટ્રેન શરૂ થવાથી અસારવા અને ઉદેપુર વચ્ચેની મુસાફરીમાં લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો માટે અમદાવાદ અને રાજસ્થાન તરફ જવાનું હવે વધુ ઝડપી, આરામદાયક અને સુરક્ષિત બનશે. આ ટ્રેનના આગમનથી પ્રવાસન અને સ્થાનિક વેપારને પણ મોટું પ્રોત્સાહન મળશે. હિંમતનગર સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા જ “ભારત માતા કી જય” ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસની આ સુવિધા સાબરકાંઠાના પરિવહન ક્ષેત્રે એક નવો વળાંક લઈ આવશે.




