
આજે મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે ગાંધી-બાપુના જીવનને આજે પણ પ્રેરણાદાયી ગણાવ્યું હતું.
પ્રાર્થના સભા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુદામ મંદિરમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. CMએ પોતાના હાથે મંદિરના પટાંગણની સફાઈ કરી. આ પછી મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
કન્યા કેળવણી માટે આ કામ કર્યું
બીજી તરફ ગિફ્ટના વેચાણ માટે ગઈકાલે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રીને મળેલી ભેટોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. હવે દેશના કોઈપણ ખૂણે રહેતા લોકો આ પોર્ટલનો લાભ લઈ શકશે અને તોશાખાનાના ઉપહાર-સોગાદ ઈ-ઓક્શનમાંથી ભેટ ઓનલાઈન ખરીદી શકશે.
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર સમારંભો અને વિવિધ મુલાકાતો દરમિયાન મળેલી ભેટના વેચાણની પરંપરાને વિસ્તૃત કરવા અને કન્યા કેળવણીના હેતુ માટે આ પ્રકારની ભેટોના ઓનલાઈન વેચાણ માટે ઈ-પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
