
બિહારથી આવ્યા મોટા સમાચાર નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે નિશાંત કુમારને રાજ્યસભા મોકલવાની તૈયારી ચાલી રહી છે.
જ્યારે વિધાનસભા ચૂંટણી આવી ત્યારે તે રસ્તો, જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે વિધાન પરિષદના રસ્તે જવાની વાત આવી. હવે રાજ્યસભા ચૂંટણીનો સમય આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકીય એન્ટ્રીનો રસ્તો પાકો માનવામાં આવી રહ્યો છે. અગાઉની જેમ જ જનતા દળ યુનાઈટેડ ના મંત્રીઓએ જ આ જાણકારી આપી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે નીતિશ કુમારે સહમતી આપી દીધી છે. તેમને નીતિશ કુમાર બાદ JDU ના અધ્યક્ષ બનાવવાની પણ વાતો ચાલી રહી છે. અત્યાર સુધી નીતિશ કુમારે પોતે આ અંગે કંઈ કહ્યું નથી, કારણ કે તેઓ પરિવારવાદ વિરોધી રહ્યા છે.
અહીં, JDU ના દિગ્ગજ નેતાઓ દાવો કરી રહ્યા છે કે, નિશાંત કુમાર ટૂંક સમયમાં જ પાર્ટીમાં પૂરી રીતે એક્ટિવ થઈ જશે. સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે નિશાંત કુમારને રાજ્યસભા મોકલવાની તૈયારી ચાલી રહી છે? આ સવાલ પર જનતા દળ યુનાઈટેડના કોઈ નેતાએ તો કંઈ કહ્યું નથી, પરંતુ નિશાંતની JDU એન્ટ્રી પર ચોક્કસપણે મોટું નિવેદન આપી દીધું છે. સીએમ નીતિશના નજીકના અને બિહાર સરકારમાં મંત્રી શ્રવણ કુમારે કહી દીધું છે કે ટૂંક સમયમાં જ તેઓ સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે.
ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શ્રવણ કુમારે સ્પષ્ટપણે કહ્યું છે કે, નિશાંત કુમારના સક્રિય રાજકારણમાં પ્રવેશવાની પૂરેપૂરી સંભાવના બની ગઈ છે. તેમના વિશે બિહારના યુવાનો અને JDU નેતાઓ ઈચ્છે છે કે નિશાંત સક્રિય રાજકારણમાં આવે. હવે ટૂંક સમયમાં જ સૌની ઈચ્છા પૂરી થવાની છે. તેમના JDU માં આગમનની ટૂંક સમયમાં જાહેરાત થશે અને તેઓ પાર્ટીની અંદર કામ કરશે.
બીજી તરફ, નિશાંત કુમારના રાજકારણમાં પ્રવેશના સમાચાર પર બિહાર સરકારના મંત્રી દિલીપ જાયસવાલે કહ્યું કે, “હું નવી પેઢીનું રાજકારણમાં સ્વાગત કરું છું. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં નેતૃત્વ કરવા બદલ હું મુખ્યમંત્રી નીતિશ કુમારનો આભાર માનું છું. આ અત્યંત આનંદની વાત છે કે નિશાંતજી હવે મુખ્યમંત્રી અને તેમના પરિવારના સમર્થન સાથે રાજકારણમાં પ્રવેશ કરશે અને અમે તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. તેઓ ચોક્કસપણે એક શિક્ષિત યુવા નેતા છે, જેમણે B.Tech ની ડિગ્રી મેળવી છે અને તેઓ જમીન સાથે જાેડાયેલા વ્યક્તિ છે.
દરેક ઘટના પોતાના સમયે થાય છે અને કદાચ હવે સાચો સમય આવી ગયો છે. તેમના રાજકારણમાં આવવાનું ઉમળકાભેર સ્વાગત થવું જાેઈએ.”
મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે જનતા દળ યુનાઈટેડ અને સીએમ નીતિશ કુમારની વિચારધારા પર ચાલનારાઓ માટે આ હોળીની એક મોટી ભેટ છે. જ્યારે તેઓ સક્રિય રાજકારણમાં આવશે ત્યારે બિહાર માટે ઘણું સારું રહેશે. તેઓ ખૂબ જ ભણેલા-ગણેલા છે, એન્જિનિયર છે. એક રીતે તેઓ સીએમ નીતિશ કુમારની ફોટોકોપી છે. હોળીના અવસરે આ મોટા સમાચાર છે. તેઓ પાર્ટીના કાર્યકરોની માંગ પર આવી રહ્યા છે. ચૂંટણી પહેલાથી જ લોકોની માંગ હતી. હવે તેઓ સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે, તે ખુશીની વાત છે.




