
ગરમીથી બચાવવા પિંજરામાં કુલર અને ખાસ ડાય કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સમર સ્પેશિયલ વ્યવસ્થા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને નેચરલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે
અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી રહ્યો છે, ત્યારે શહેરના પ્રસિદ્ધ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ અને પક્ષીઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી ખાસ સમર મેનેજમેન્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે. અહીં બહારના તાપમાન કરતા પિંજરાઓની અંદરનું વાતાવરણ ૧થી ૨ ડિગ્રી ઓછું રહે તે માટે હાઈટેક ડિવાઈસ અને નેચરલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રાણી સંગ્રહાલયના સુપ્રીટેન્ડેન્ટ ડો. આર.કે. શાહના માર્ગદર્શન હેઠળ સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા મોટા પ્રાણીઓના પાંજરા પાસે વિશાળ ઇન્ડસ્ટ્રીયલ કુલર ગોઠવવામાં આવ્યા છે. મગર, હિપોપોટેમસ અને વાઘ જેવા જળપ્રિય પ્રાણીઓ માટે પાણીના હોજ સતત ભરેલા રાખવામાં આવે છે જેથી તેઓ ગમે ત્યારે ઠંડક મેળવી શકે. આ ઉપરાંત, ગરમીમાં પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે તેમના પીવાના પાણીમાં ORS અને ઈલેક્ટ્રલ પાવડરનું મિશ્રણ ઉમેરવામાં આવ્યું છે, જે તેમના શરીરમાં ક્ષારોનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
ગરમીમાં રાહત આપવા માટે પ્રાણીઓના આહારમાં પણ ફેરફાર કરાયો છે, જેમાં તરબૂચ, શક્કરટેટી અને શેરડી જેવા જળયુક્ત ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પક્ષીઓ માટે પિંજરાની ઉપર ગ્રીન નેટ બાંધીને સીધા સૂર્યપ્રકાશથી રક્ષણ અપાયું છે અને સમયાંતરે પાણીનો છંટકાવ (ફોગર્સ) કરવામાં આવી રહ્યો છે. પ્રાણી સંગ્રહાલયનો મેડિકલ સ્ટાફ પણ સતત કાર્યરત છે, જે દરેક જીવના સ્વાસ્થ્ય પર બારીકાઈથી નજર રાખે છે જેથી કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર આપી શકાય.




