
એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે ૧૭ વખત ફોન પર વાતચીત થયાનો દાવો અશોક ખરાત સામે અત્યાર સુધીમાં કુલ ૧૦ કેસ નોંધાયેલા છે, જેમાંથી ૮ કેસ ‘દૈવી શક્તિ’ના બહાને મહિલાઓના જાતીય શોષણના છે મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ એક મોટો વિવાદ છેડાયો છે. સામાજિક કાર્યકર અંજલિ દામણિયાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. દામણિયાનો દાવો છે કે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા સ્વયંભૂ ધર્મગુરુ અશોક ખરાત સાથે રાજ્યના અનેક દિગ્ગજ નેતાઓ સંપર્કમાં હતા. તેમણે દાવો કર્યાે હતો કે એકનાથ શિંદેના મોબાઈલ પરથી ખરાતને ૧૭ વખત કોલ કરવામાં આવ્યા હતા, જેમાંથી સૌથી લાંબી વાતચીત ૨૧ મિનિટ સુધી ચાલી હતી. આ ૧૭ કોલમાંથી ૧૦ ઇનકમિંગ અને ૭ આઉટગોઇંગ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.આ વિવાદમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એનસીપી(NCP) નેતા રૂપાલી ચાકણકર અંગે થયો છે. અંજલિ દામણિયાએ કોલ ડિટેલ રેકોર્ડ(CDR) સોશિયલ મીડિયા પર શેર કરતા આક્ષેપ કર્યાે કે રૂપાલી ચાકણકરે ખરાત સાથે કુલ ૧૭૭ વખત વાત કરી છે, જેનો કુલ સમયગાળો ૩૩,૭૨૭ સેકન્ડ જેટલો થાય છે.
એટલું જ નહીં, રૂપાલીની બહેન પ્રતિભાએ પણ ખરાતને ૨૩૬ કોલ કર્યા હોવાનાટ્ઠે દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટીલ અને એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ પણ ખરાત સાથે ૮-૮ વખત ફોન પર વાત કરી હોવાના આક્ષેપ દામણિયાએ લગાવ્યા છે.અશોક ખરાત સામે અત્યાર સુધીમાં કુલ ૧૦ કેસ નોંધાયેલા છે, જેમાંથી ૮ કેસ ‘દૈવી શક્તિ’ના બહાને મહિલાઓના જાતીય શોષણના છે, જ્યારે બે કેસ છેતરપિંડી અને ખંડણીના છે. આ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા વ્યક્તિ સાથે રાજકીય નેતાઓની આટલી લાંબી વાતચીત પાછળનો હેતુ શું હતો, તે અંગે દામણિયાએ સ્પષ્ટતાની માંગ કરી છે. બીજી તરફ, શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોએ ધીરજ રાખવી જાેઈએ, સત્ય જલ્દી સામે આવશે. તેમણે વિરોધ પક્ષો પર આ મુદ્દાને રાજકીય રંગ આપીને આરોપી ખરાતને બચાવવાનો પ્રયાસ કરવાનો વળતો આક્ષેપ પણ કર્યાે છે.





