
મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય અને પુરવઠા મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપી દીધું છે. તેઓ આજે સચિવાલયમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા અને ત્યારબાદ તેમને પોતાનું રાજીનામું સુપરત કર્યું. સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ આજે મને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. મેં તેને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલને મોકલી દીધું છે.
NCP નેતાઓની ચર્ચા થઈ
આ પહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધનંજય મુંડેને રાજીનામું આપવા કહ્યું હતું. સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો હતો. આ મામલે મોડી રાત્રે ડેપ્યુટી સીએમ અજિત પવારના નિવાસસ્થાન દેવગીરી ખાતે એનસીપીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધનંજય મુંડે પણ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ, સંતોષ દેશમુખની હત્યાના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
SIT રિપોર્ટમાં, એક નજીકના સહાયકને માસ્ટરમાઇન્ડ તરીકે વર્ણવવામાં આવ્યો હતો.SIT એ તેની ચાર્જશીટમાં મુંડેના નજીકના સાથી વાલ્મીકી કરાડને સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મુખ્ય સૂત્રધાર તરીકે નામ આપ્યું છે. સૂત્રોનું માનીએ તો, મુખ્યમંત્રીએ અજિત પવાર અને પ્રફુલ્લ પટેલને પત્ર લખીને કહ્યું છે કે ધનંજય મુંડેએ મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે. વાલ્મીકિ કરાડ અને તેમના 6 સાથીદારોની પોલીસે જાન્યુઆરીમાં MCOCA હેઠળ ધરપકડ કરી હતી. આ ચાર્જશીટનો એક ભાગ ૩ માર્ચે વાયરલ થયો હતો. જેમાં વાલ્મીકિ કરાડનો સાથી સંતોષ દેશમુખની હત્યા કરતો જોવા મળે છે.
મુખ્યમંત્રીએ NCP નેતાઓ સાથે બેઠક યોજી
ફોટા વાયરલ થયા પછી, સીએમ દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર, પ્રફુલ્લ પટેલ, એનસીપીના વડા સુનીલ તટકરે, ધનંજય મુંડે અને ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ NCP નેતાઓને સ્પષ્ટ કર્યું કે ધનંજય મુંડેએ રાજીનામું આપવું પડશે.
મુંબઈ પોલીસની SIT દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટ મુજબ, વાલ્મીકિ કરાડ બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો માસ્ટરમાઈન્ડ હતો. કરાડે બીડમાં જમીન સંપાદન અધિકારી પાસેથી ₹2 કરોડની ખંડણી માંગી હતી. જ્યારે બીડના સરપંચ સંતોષ દેશમુખે તેમને રોક્યા, ત્યારે વાલ્મીકિ અને તેમના સાથીઓએ દેશમુખને મારવાનું કાવતરું ઘડ્યું. ચાર્જશીટમાં વાલ્મીકિ પછી સુદર્શન ઘુલેને આરોપી નંબર 2 બનાવવામાં આવ્યા છે. તેની સામે ૧૧ ગુનાહિત કેસ નોંધાયેલા છે.





