NEET પેપર લીક મુદ્દે સંસદમાં ગરમાયો રાજકીય માહોલ વડાપ્રધાન મોદીનું આશ્વાસન: ભવિષ્યમાં પેપર લીક રોકવા ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદમાં સરકારનો પક્ષ રજૂ કર્યો; ૧૩ આરોપીઓની ધરપકડ બાદ પરીક્ષા ફરી યોજાઈ
સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ NEET પેપર લીક કેસ ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે સરકાર તરફથી કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટતા કરી કે પેપર લીકની માહિતી મળતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક અને કડક પગલાં લીધા હતા. તેમણે જણાવ્યું કે તપાસ દરમિયાન સંડોવાયેલા ૧૩ આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.
કિરેન રિજિજૂએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના ભવિષ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, પરીક્ષા પ્રક્રિયામાં થયેલી ગેરરીતિ સામે સરકારે કોઈપણ પ્રકારની ઢીલ દાખવી નથી.
વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે ટૂંકા સમયમાં ફરીથી પરીક્ષા યોજાઈ અને તેના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
સરકારે ભવિષ્યમાં આવી કોઈપણ ઘટના ફરી ન બને તે માટે પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક સુધારા કરવાની દિશામાં કામગીરી શરૂ કરી હોવાનું પણ જણાવાયું. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક કહ્યું કે દેશની પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે સંપૂર્ણ “ફૂલ-પ્રૂફ સિસ્ટમ” વિકસાવવામાં આવશે. સાથે જ પેપર લીક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને તેમને ઉદાહરણરૂપ સજા આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ લાખો વિદ્યાર્થીઓના વિશ્વાસને મજબૂત બનાવવાનો છે. પરીક્ષા પ્રણાલી પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા, મજબૂત મોનિટરિંગ અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા વધુ અસરકારક બનાવવામાં આવશે.
ચોમાસુ સત્રના સંદર્ભમાં રિજિજૂએ જણાવ્યું કે સરકાર દેશના હિત સાથે જાેડાયેલા મહત્વપૂર્ણ કાયદા અને વિધેયકોને સંસદમાં આગળ વધારવા પ્રતિબદ્ધ છે. તેમણે વિપક્ષને પણ અપીલ કરી કે રાજકીય મતભેદો હોવા છતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય અને દેશના હિત જેવા મુદ્દાઓ પર સૌએ એકસાથે કામ કરવું જાેઈએ.
NEET પેપર લીક કેસે દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ચિંતા ઊભી કરી હતી.
સરકારનું કહેવું છે કે આ ઘટનામાંથી પાઠ લઈને ભવિષ્યમાં પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે, જેથી કોઈપણ વિદ્યાર્થીના પરિશ્રમ અને ભવિષ્ય સાથે ફરી ક્યારેય અન્યાય ન થાય.





