જંતર-મંતર વિવાદ મામલે રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર ‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’ વિપક્ષ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવી રહ્યા છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ : રાજનાથ સિંહ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શન અને રસ્તાઓ પર થઈ રહેલા વિદ્યાર્થી આંદોલનોને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે, દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવીને ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણ તથા તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રાજનાથ સિંહે કહ્યું, મને પૂરો વિશ્વાસ છે કે, ભારતનો સમજદાર અને પરિપક્વ યુવા આ પ્રકારના રાજકીય કાવતરાંને સારી રીતે સમજે છે. તેઓ કોઈની ઉશ્કેરણીમાં આવવાને બદલે વિકાસ અને રાષ્ટ્ર નિર્માણના રસ્તાને પસંદ કરશે. અમારી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે કે, કોઈ પણ યુવા કે, વિદ્યાર્થી સાથે કોઈ અન્યાય ન થાય.
રાજનાથ સિંહે આરોપ લગાવ્યો કે, વિપક્ષના કેટલાક નેતાઓ જાણી જાેઈને લોકો વચ્ચે ગુસ્સો ભડકાવવાની, અને અસંતોષનો ખોટો માહોલ ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થશે.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, અને સરકાર સંસદની અંદર દરેક સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરાવવા માટે તૈયાર છે. આમ છતાં, વિપક્ષી દળો સંસદમાં હકારાત્મક ચર્ચા કરવાને બદલે રસ્તાઓ પર ઉકેલ શોધવાનો નવો, અને ખોટો રસ્તો અપનાવી રહ્યા છે. તેમણે વિપક્ષને સલાહ આપતા કહ્યું કે, જાે તેઓ યુવાનોના મુદ્દાઓને લઈને જરાય ગંભીર હોય, તો તેમણે સદનમાં હંગામો ઊભો કરવાને બદલે સંસદીય મર્યાદા હેઠળ ટેબલ પર બેસીને ચર્ચા કરવી જાેઈએ.





