
૧૦ વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ ૧૫ જીવ હોમાયા હાલમાં હોસ્પિટલમાં દાખલ ૧૧ ઘાયલોમાંથી ૯ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક ત્રણ માળની ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાના કારણે ૧૫ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ૯ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની ગંભીરતાને જાેતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીના નિર્દેશ પર બેદરકારી દાખવવા બદલ ૪ અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ઇમારતના સંયુક્ત માલિકો સહિત ૪ લોકોની ધરપકડ કરી લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિજનોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ‘માંથી ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને ૫-૫ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ આખી ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા ૨ સદસ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)નું ગઠન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ એસઆઈટીને આગામી ૭ દિવસમાં આ મામલાનો સંપૂર્ણ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. હાલમાં હોસ્પિટલમાં દાખલ ૧૧ ઘાયલોમાંથી ૯ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.આ હોનારત પાછળ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી પણ ખુલ્લી પડી છે. જે ત્રણ માળની બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી, તેને ગેરકાયદે બાંધકામને લીધે વર્ષ ૨૦૧૬માં જ તોડી પાડવાનો હુકમ કરાયો હતો. તેમ છતાં, નવાઈની વાત એ છે કે માત્ર બે જ મહિનામાં આ હુકમ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે ઇમારતનો નકશો મંજૂર થયેલો હોવા છતાં, વાસ્તવિક બાંધકામ તેની મંજૂરી કરતાં બિલકુલ અલગ કરવામાં આવ્યું હતું. પરિણામે, હવે લખનૌ વિકાસ પ્રાધિકરણ ની જૂની કામગીરી અને દસ્તાવેજાે સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
સરકારે આ મામલે કડક વલણ અપનાવતા તંત્રના ૪ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, જેમાં જાનકીપુરમના વીજ વિભાગના અધિકારી ગૌરવ કુમાર, ઇન્દિરા નગર ફાયર બ્રિગેડ શાખાના કમલેન્દ્ર કુમાર સિંહ, એલડીએના આસિસ્ટન્ટ એન્જિનિયર અનિલ કુમાર અને જુનિયર એન્જિનિયર પ્રમોદ પાંડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે આ મામલે બિલ્ડિંગના સંયુક્ત માલિકો રામ કૃષ્ણ ઉપાધ્યાય, વીરેન્દ્ર પ્રસાદ શુક્લા, તુષાર કૃષ્ણ જાયસવાલ અને અન્ય એક શખ્સ સુરેશ કુમાર સાહુની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





