
ઈરાનના સૈન્ય દળોએ ફરી પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ એરસ્ટ્રાઈક કરી છે. સરહદ પાર કરીને ઈરાની સૈન્ય દળોએ આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના કેટલાક સહયોગીઓને મારી નાખ્યા છે. ન્યૂઝ ચેનલ ઈરાન ઈન્ટરનેશનલે શનિવારે સવારે ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ વાતની પુષ્ટિ કરી હતી. તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા પણ ઈરાની સૈન્ય દળોએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારોમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ગયા મહિને પણ 17 જાન્યુઆરીએ ઈરાને પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાનના પંજગુરમાં હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ પાકિસ્તાને ઈરાનના સરહદી વિસ્તારમાં બલૂચ વિદ્રોહીઓના ઠેકાણા પર પણ હુમલો કર્યો હતો.
