
નેપાળના PM સુશીલા કાર્કી બનતાં મોદીએ કહ્યું ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ સુશીલા કાર્કીને વડાપ્રધાન મોદીએ શુભકામના પાઠવી.
નેપાળમાં પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીએ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ના દિવસે વચગાળાની સરકારમાં કાર્યકારી વડાપ્રધાનના રૂપે શપથ લીધા. ત્યાર બાદ નેપાળને નવા વડાપ્રધાન મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલા કાર્કીને શુભકામના આપતાં નેપાળમાં શાંતિ અને સ્થિરતાની આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરી સુશીલા કાર્કીને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.
સોશિયલ મીડિયા પર લગાવેલા પ્રતિબંધના વિરોધમાં શરુ કરવામાં આવેલા જેન-ઝી આંદોલને ધીમે-ધીમે ભ્રષ્ટાચાર સામે મોટા આંદોલનનું રૂપ લઈ લીધું હતું. આ આંદોલનમાં સીધી રીતે ઓલી સરકારને નિશાનો બનાવવામાં આવી હતી. વિરોધ વધતાં દેખાવકારો પર પોલીસ દ્વારા ફાયરિંગની કાર્યવાહી કરવામાં આવી, જેમાં ૨૦થી વધુ લોકોના મોત થયા હતા, આ મૃતકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. વધતાં દબાણ અને જનવિરોધને લઈને ઓલીને રાજીનામું આપવું પડ્યું હતું. વડાપ્રધાન ઓલીના રાજીનામા બાદ પણ દેશમાં હિંસા અટકી ન હતી. મંગળવારે કાઠમાંડુ સહિત અનેક શહેરોમાં ઉગ્ર ભીડે ભારે ઉપદ્રવ મચાવ્યો હતો. દેખાવકારોએ સંસદ ભવન, રાજકીય નેતાઓના આવાસ અને અન્ય સરકારી ઇમારતોને આગ ચાંપી દીધી હતી. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સેનાને હસ્તક્ષેપ કરવો પડ્યો. આ દરમિયાન ૫૦થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, નેપાળ ભારતના પાડોશી દેશ છે. લાંબા સમયથી નેપાળ ભારતનો સહભાગી રહ્યું છે. ભારત-નેપાળ સાથે મળીને બંને દેશ અને તેમના નાગરિકોની સમૃદ્ધિ અને ભલાઈ માટે કામ કરતું રહેશે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વર્તમાન સ્થિતિ પર ચર્ચા માટે સુરક્ષા મામલે કેબિનેટ સમિતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી.




