
દિલ્હી બીજેપીની કમાન હર્ષ મલ્હોત્રાના હાથમાં દિલ્હી-પંજાબ સહિત ૪ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક પંજાબમાં ચૂંટણીને લગભગ એક વર્ષ જેટલો સમય બાકી હોવાથી ભારતીય જનતા પાર્ટીએ અહીં ફેરફાર કર્યો છે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાં હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંગઠનમાં મોટા પાયે ફેરફારો શરૂ કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીએ દેશની રાજધાની દિલ્હી સહિત ૪ રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલી નાખ્યા છે. દિલ્હીની સાથે જ પંજાબ, હરિયાણા અને પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાને હવે નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે.
દિલ્હી બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે હર્ષ મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. હર્ષ મલ્હોત્રા પૂર્વ દિલ્હીના સાંસદ છે અને તેઓ ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે કાર્યરત છે.
પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લગભગ એક વર્ષ જેટલો સમય બાકી હોવાથી ભારતીય જનતા પાર્ટીએ અહીં પણ મોટો સંગઠનાત્મક ફેરફાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સુનીલ જાખડની જગ્યાએ નવા નેતાને પાર્ટીના સંગઠનની કમાન સોંપી છે. ભારતીય જનતા પાર્ટીએ કેવલ સિંહ ઢિલ્લોંને પંજાબ બીજેપીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર કર્યા છે.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અભિષેક દેબરોયના હાથમાં ત્રિપુરાની કમાન સોંપી દીધી છે. એટલે કે તેમને ત્રિપુરાના પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરાયા છે.
હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં ડો. અર્ચના ગુપ્તાને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષની ખુરશી પર બેસાડ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો.અર્ચના ગુપ્તાના નામ પર મહોર લગાવી દીધી છે.





