
રાજકોટના શાપરમાં કરોડોની લૂંટ ૫ બુકાનીધારી શખ્સોએ બંધક બનાવી રોકડ, દાગીનાની ચલાવી લૂંટ લૂંટારુઓ અંદાજે ૨ કરોડ ૪૭ લાખ રૂપિયાની રોકડ તેમજ ૫થી વધુ તોલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મોડી રાત્રે અજાણ્યા બુકાનીધારીઓએ એક વૃદ્ધને બંધક બનાવી કરોડો રૂપિયાની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની લૂંટની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ પાંચથી વધુ બુકાનીધારીઓએ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવી તેમના રહેઠાણમાં ત્રાટકી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ અંદાજે ૨ કરોડ ૪૭ લાખ રૂપિયાની રોકડ તેમજ ૫થી વધુ તોલા સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. જીતેન્દ્રસિંહ જાડેજા ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી રહી છે કે તેમની પાસે જમીન વેચાણના રૂપિયા રાખેલા હતા, તેની જાણ હાવાથી કોણ જાણ ભેદુએ તેને નિશાન બનાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે.
ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્યના એસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમોની રચના કરીને લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજના આધારે તપાસ આગળ વધારી રહી છે અને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
શાપર-વેરાવળમાં બનેલી આ કરોડોની લૂંટની ઘટનામાં પોલીસને CCTV સહિતના મહત્વના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જાેવાનું રહેશે કે પોલીસ આરોપીઓને કેટલા સમયમાં ઝડપી પાડવામાં અને મુદ્દામાલને રિકવર કરાવવામાં સફળ થાય છે.





