
શું કોંગ્રેસને ગુજરાતથી કોઈ વાંધો છે? ખડગે બાદ હવે કન્હૈયા કુમારના નિવેદનથી ભારે ખળભળાટ “સૌથી મોટો ઘૂસણખોર ગુજરાતમાંથી આવ્યો છે” કન્હૈયાના આ વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતમાં ભારે રોષ વ્યાપી ગયો છે ચૂંટણીના ગરમાવા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ હવે વ્યક્તિગત અને પ્રાદેશિક સ્તરે પહોંચી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ આસામમાં એક રેલી દરમિયાન કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા કન્હૈયા કુમારે ગુજરાત અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને નિશાન બનાવીને એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી ગુજરાતીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે.
આસામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કન્હૈયા કુમારે મંચ પરથી કહ્યું કે, “હું આવ્યો ત્યારે મને મીડિયાના એક પત્રકારે કહ્યું કે ઘૂસણખોરીનો મુદ્દો છે, હું બોલ્યો સૌથી મોટો ઘૂસણખોર ગુજરાતમાંથી આવ્યો છે, હિમંતા બિસ્મા સરમાની સાથે તેને પણ અહીંથી ભગાવવાની જરૂર છે.” કન્હૈયા કુમારનું આ નિવેદન સીધું જ દેશના ટોચના નેતૃત્વ અને ગુજરાત સાથે જાેડીને જાેવામાં આવી રહ્યું છે. કન્હૈયા કુમારના આ નિવેદનને ભાજપ દ્વારા ગુજરાતી અસ્મિતા પરના હુમલા તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જ્યારે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ કોઈ ચોક્કસ રાજ્યના લોકોને ઘૂસણખોર જેવા શબ્દોથી સંબોધે છે, ત્યારે તેની અસર માત્ર તે રાજ્ય પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ સમગ્ર દેશના મતદારો પર તેની નકારાત્મક છાપ પડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે બાદ ગુજરાતના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ઠેર-ઠેર મલ્લિકાર્જુન ખડગેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જાેકે, ભારે વિરોધ બાદ આ મામલે મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી હતી.





