
રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે : કેન્દ્રની જાહેરાત તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી જથ્થો મેળવી શકશે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે.
બીજી તરફ, સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે દેશભરમાંથી લાખો નકલી રેશનકાર્ડ પણ રદ કર્યા છે.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. એપ્રિલ ૨૦૨૬ માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી નિર્ધારિત સમયે આ જથ્થો મેળવી શકશે. જાે કે સરકારે આ રીતે એકસાથે અનાજ આપવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ જાહેર કર્યું નથી.
સરકારે સંસદમાં માહિતી આપી હતી કે વર્ષ ૨૦૨૫ દરમિયાન દેશમાં કુલ ૪૧.૪૧ લાખ અપાત્ર રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ અંગે રાજ્ય અનુસાર આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં હરિયાણા: ૧૩.૪૩ લાખ કાર્ડ રદ, રાજસ્થાન: ૬.૦૫ લાખ કાર્ડ રદ, ઉત્તર પ્રદેશ: ૫.૯૭ લાખ કાર્ડ રદ, પશ્ચિમ બંગાળ: ૩.૭૪ લાખ કાર્ડ રદ, મધ્ય પ્રદેશ: ૨.૬૦ લાખ કાર્ડ રદ કર્યા હોવાની માહિતી આપી હતી. ખાદ્ય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી અપાત્ર લોકોને સિસ્ટમમાંથી બહાર કરી ખરા લાભાર્થીઓ સુધી અનાજ પહોંચાડવામાં સફળતા મળી છે.
સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) માં સુધારા માટે સરકાર પગલાં ભરી રહી છે. દેશની લગભગ તમામ સસ્તા અનાજની દુકાનોમાં હવે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ (ePOS) મશીનો સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. દેશના ૯૯.૨% લાભાર્થીઓને આધાર સાથે જાેડી દેવામાં આવ્યા છે. ૯૮.૭૫% અનાજનું વિતરણ હવે આધાર આધારિત બાયોમેટ્રિક અથવા ડિજિટલ પ્રમાણીકરણ દ્વારા જ કરવામાં આવે છે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ અનાજની ચોરી અટકાવવાનો અને સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો છે.




