
ઈરાનના ડેપ્યુટી ચીફનું નિવેદન અમારા પર યુદ્ધ થોપવામાં આવ્યું છે, મિત્રો માટે હોર્મુઝ ખુલ્લું છે સીઝફાયર નહીં, હવે સીધું યુદ્ધ જ ખતમ થશે: જાવેદ હુસૈની ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે આ યુદ્ધને ૧૯ દિવસ પૂરા થયા છે. ઈરાનમાં જ્યાં ઈઝરાયેલ અને અમેરિકાની મિસાઈલ અને હથિયારો મોત વરસાવી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોત થવા છતાં ઈરાન ઝૂકવાના મૂડમાં નથી, ભલે તેના અનેક મોટા નેતાઓ યુદ્ધમાં હોમાઈ ગયા હોય.
ઈરાન સતત અમેરિકા અને ઈઝરાયેલના સહયોગીઓ પર મિસાઈલોથી હુમલાઓ કરી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના મિશન ટુ ઈન્ડિયાના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જાવેદ હુસૈનીએ એક કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે અનેક મહત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે.
હુસૈનીએ કહ્યું કે, અમે હંમેશા ડિપ્લોમેસીમાં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ આ હુમલાઓ બતાવે છે કે તે લોકો ઈરાન સાથે શાંતિ ઈચ્છતા જ નથી. આ યુદ્ધ ઈરાનના લોકો પર થોપવામાં આવ્યું છે. અમે અમારા દેશ અને લોકોની રક્ષા કરીશું. હુસૈનીએ ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારીજાનીના મોત પર પણ વાત કરી અને કહ્યું કે, અમારી તરફથી કોઈ સીઝફાયર થશે નહીં.
તેમણે કહ્યું કે, અમે પોતાની રક્ષા કરવાનો રસ્તો પસંદ કર્યો છે અને અમે તેને ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી સામે પક્ષ આ વાત સમજી ન જાય. હુસૈનીએ વધુમાં કહ્યું કે, અમે અમારી રક્ષા યુદ્ધના અંત સુધી કરતા રહીશું. બીજા પક્ષે જ યુદ્ધ ખતમ કરવું પડશે. કોઈ સીઝફાયર નહીં થાય, સીધું યુદ્ધ જ ખતમ થશે.
અમેરિકા-ઈઝરાયેલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ગઈ વખતે પણ તેમણે જ સીઝફાયર કર્યું હતું. અમે ત્યાં સુધી જંગ ચાલુ રાખીશું જ્યાં સુધી તેઓ યુદ્ધ ખતમ કરવા માટે મજબૂર ન થઈ જાય. તેમના માટે યુદ્ધ આગળ વધારવું નકામું છે.
આ સિવાય તેમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજાે પસાર થવા અને ભારત સાથેના સંબંધો પર પણ વાત કરી. હુસૈનીએ સ્પષ્ટ કહ્યું કે, જે પણ દેશો અમારા મિત્રો છે, અમે તેમના જહાજાેને ત્યાંથી પસાર થવા દઈએ છીએ. પરંતુ જે દેશો ઈઝરાયેલ અને અમેરિકાના મિત્રો છે, તેમના જહાજાેને પસાર થવા દઈશું નહીં. અમારું માનવું છે કે, જાે ભારતને દુ:ખ થાય છે, તો તે ઈરાનનું દુ:ખ છે.
હુસૈનીએ કહ્યું કે, અમે તેવું જ કરીએ છીએ જેવું અમારી સાથે થાય છે. અત્યારે પ્રાદેશિક સ્થિતિ ઘણી ગંભીર છે. અમારા પર હુમલા થઈ રહ્યા છે. જહાજાેને પસાર થવા દેવા માટે અમે કેટલાક પગલાંઓ પર વિચાર કર્યો છે. અમે પણ ભારતની સાથે જ છીએ કે જહાજાેને પસાર થવા દેવામાં આવે. ટૂંક સમયમાં જ સારા સમાચાર મળશે.




