આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા નવા નવા નાટકો લઈને તૈયાર હોય છે, ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓ પાસે લોકોની પીડા સાંભળવાનો સમય નથી. તેમની એસી ઓફિસમાં બેસીને જનતાના કામ કરવા માટેનો તેમની પાસે સમય નથી પરંતુ મોદીજીની જન્મજયંતી નિમિત્તે તેઓ બાઇકો લઈને તાયફો કરવા માટે તૈયાર છે. તેઓ જનતાને પોતાના કામો ગણાવી શકે અને કામોનો હિસાબ આપી શકે એવું કશું નથી, એટલા માટે તેઓ વારંવાર નાટકો કરતા આવે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપના નેતાઓ દીવા પ્રગટાવવા જઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી “દીવા તળે અંધારું” નામથી કેમ્પેઇન કરવા જઈ રહી છે. ગુજરાતમાં ચોક્કસપણે દીવા તળે અંધારું છે અને એ વાત ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતના તૂટેલા રસ્તાઓ બતાવીને, ગુજરાતની ખરાબ શાળાઓ બતાવીને, ખરાબ હોસ્પિટલ બતાવીને, ગુજરાતની હકીકતને ઉજાગર કરવાનું કામ કરશે. આવતીકાલથી આમ આદમી પાર્ટીનું “દીવા તળે અંધારું” કેમ્પેઇન ચાલુ થશે અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરીને દીવા તળે અંધારું છે તેને દેખાડવાનું કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરશે.




