
દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે આગામી ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે રાજ્યમાં ભરે ઉનાળે કમોસમી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે.
આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે નવી આગાહી કરવામાં આવી છે, જેમાં ગરમીનો પારો ૨થી ૩ ડિગ્રી જેટલો વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD અનુસાર, આગામી તારીખ ૧૧થી ૧૪ સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ખાસ કરીને કોસ્ટલ(દરિયાકાંઠાના) ક્ષેત્રોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે દરિયાઈ વિસ્તારો નજીકમાં વસવાટ કરતાં લોકોને ગરમી અને બફારાના લીધે ભારે અકળામણનો અનુભવ થઈ શકે છે.
હાલમાં રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. શહેરોની વાત કરીએ તો, અમરેલીમાં સૌથી વધુ ૩૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદમાં ૩૬.૬ ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૫.૪ ડિગ્રી તાપમાન રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જાે કે, રાહતની વાત એ છે કે પવનની ગતિ હમણાં સામાન્ય જ રહેશે.





