
દીકરી મેદાને ઉતરવા તૈયાર ભાજપના વિવાદિત નેતા બૃજભૂષણના પરિવારના ૪ સભ્યો ચૂંટણી લડશે! રિપોર્ટ મુજબ બૃજભૂષણની પુત્રી શાલિની ‘ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭’માં એન્ટ્રી કરી શકે છે ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણીતા બાહુબલી નેતા અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ સિંહ ફરી ચર્ચામાં આવ્યા છે. રાજ્યના મધ્યથી લઈને પૂર્વ સુધી રાજકીય આધાર વધારવાનો પ્રયાસ કરી રહેલા બૃજભૂષણ સિંહના બંને પુત્ર પ્રતિક અને કરણ બાદ હવે તેમની પુત્રી શાલિની સિંહ પણ રાજકારણમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે.
મીડિયા રિપોર્ટ મુજબ બૃજભૂષણની પુત્રી શાલિની ‘ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭’માં એન્ટ્રી કરી શકે છે અને તેઓ નોઈડાથી ચૂંટણી લડવાની તૈયારીમાં હોવાની ચર્ચાઓ સામે આવી છે. એકતરફ શાલિની બૃજભૂષણની પુત્રી છે અને બીજીતરફ તેમના લગ્ન બિહારના રાજકારણમાં સંબંધો ધરાવતા વિશાલ સિંહ સાથે થયા છે. આમ શાલિનીનું પિયર અને સાસરું બંને રાજકીય ઘરોબો ધરાવે છે.
ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહના પુત્રો પણ રાજકારણમાં છે. તેમના મોટો પુત્ર પ્રતીક ભૂષણ ગોંડા બેઠક પરથી બીજી વખતના ધારાસભ્ય બનેલા છે.
જ્યારે નાનો પુત્ર કરણ ભૂષણ સિંહ કૈસલગંજના સાંસદ છે. જ્યારે બૃજભૂષણ ૨૦૨૯માં લોકસભા ચચૂંટણી લડવાની તૈયારીમાં છે, ત્યારે હવે પુત્રી શાલિની નોઈડાથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હોવાની ચર્ચા સામે આવ્યા બાદ હવે એવો સવાલો ઉઠ્યા છે કે, શું એક જ પરિવારના ચાર લોકો ચૂંટણી લડશે? ભાજપના દિગ્ગજ નેતા બૃજભૂષણના ત્રણ પુત્ર અને એક પુત્રી છે, જેમાંથી એક પુત્ર શક્તિ સિંહનું નિધન થયું હતું. હાલ તેમના બે પુત્ર અને એક પુત્રી છે. શાલિની નોઈડા બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા છે, જાેકે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના મોટા પુત્ર પંકજ સિંહ નોઈડામાં બે ટર્મથી જીતતા આવ્યા છે અને હાલ તેઓ આ બેઠક પરના ધારાસભ્ય છે. આવી સ્થિતિમાં જાે શાલિની નોઈડામાંથી ચૂંટણી લડશે તો પંકજ સિંહનું શું થશે?
બૃજભૂષણ શાલિની નોએડામાં એક કાર્યક્રમમાં કવિતા વાંચ્યા બાદ ચર્ચામાં આવી હતી. કવિતામાં તેણે પોતાને પહલવાન પિતાની પુત્રી અને બે બાહુબલી ભાઈઓની બહેન કહી હતી. શાલિની આર્ટિસ્ટ છે અને તેમણે અત્યાર સુધીમાં પાંચ પુસ્તકો લખ્યા છે. સામાજિક કાર્યોમાં સક્રિય શાલિની નોઈડા સિટિજન ફોરમની સભ્ય પણ છે. તેઓ વકીલ અને એજ્યુકેશનિસ્ટ પણ છે. શાલિનીના લગ્ન પૂર્વ સાંસદ સ્વર્ગીય અજીત સિંહ અને પૂર્વ સાંસદ મીના સિંહના એકમાત્ર પુત્ર વિશાલ સિંહ સાથે થયા છે.





