
દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. આ સાથે જ ક્રિકેટ જગતને પણ મોટો આંચકો લાગ્યો છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરથી લઈને ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર સુધી, ઘણા દિગ્ગજ ખેલાડીઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રતન ટાટાએ ભારતીય ક્રિકેટની સાથે સાથે દેશના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ તેમની ટીમ માટે ક્રિકેટ રમ્યા, જેઓ બાદમાં લાંબા સમય સુધી દેશ માટે રમ્યા.
રતન ટાટાના સમયમાં ટાટા ગ્રુપની ઘણી કંપનીઓએ ઘણા ભારતીય ક્રિકેટરોને સપોર્ટ કર્યો હતો. આમાં ઘણા એવા ક્રિકેટરો સામેલ હતા, જેમણે દેશને વર્લ્ડ કપ જીતાડ્યો. ટાટા ગ્રૂપની ઘણી કંપનીઓએ ક્રિકેટરોને આર્થિક મદદ કરવા માટે તેમને નોકરી આપી. આ કારણે એવા ઘણા ક્રિકેટરો હતા જે ક્રિકેટને કારકિર્દી તરીકે પસંદ કરી શકતા હતા અને દેશ માટે રમવા જતા હતા.