
૫૬ના મોત, ૨૦થી વધુ ગુમ.દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો.હવામાન ખાતાને આશંકા છે કે આગામી ૧૨ કલાકમાં આ વાવાઝોડું હજુ પણ શક્તિશાળી થઈ શકે છે.દિતવાહ વાવાઝોડાએ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની અસર ભારત પર થાય તે પહેલા શ્રીલંકામાં ભારે પવન સાથે વરસાદના કારણે ૫૬ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હવામાન ખાતાને આશંકા છે કે આગામી ૧૨ કલાકમાં આ વાવાઝોડું હજુ પણ શક્તિશાળી થઈ શકે છે.
વાવાઝોડાના કારણે શ્રીલંકામાં સ્ટોક માર્કેટ પણ વહેલું બંધ કરી દેવાની નોબત આવી છે. ખરાબ વાતાવરણના કારણે કોલમ્બોની પાંચ ફ્લાઈટ ભારતના તિરુવનંતપુરમ ડાયવર્ટ કરવામાં આવી છે.
વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ઠેર ઠેર વરસાદ તો વરસી જ રહ્યો છે પણ સાથે સાથે ભૂસ્ખલન પણ થઈ રહ્યા છે. સમગ્ર શ્રીલંકામાં શાળા કોલેજાે બંધ કરવાના આદેશ અપાયા છે. રેલવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. લોકોને શાળા અને પબ્લિક શેલ્ટર્સમાં આશરો આપવામાં આવી રહ્યો છે.
વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે તમિલનાડુમાં આગામી પહેલી ડિસેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડુ માટે ખાસ કરીને ૨૯ અને ૩૦ નવેમ્બર એમ ૪૮ કલાકનો સમય સૌથી મોટો ખતરો રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું રવિવારે સવારે દક્ષિણ ભારતના દરિયાકાંઠે પહોંચશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા ખેડૂતોને પણ પાક નુકસાની ન થાય તે માટે વ્યવસ્થા કરવા કહેવાયું છે. ભારે પવન સાથે વરસાદ આવે ત્યારે વીજળીના થાંભલા, વૃક્ષ નીચે ઊભા ન રહેવા લોકોને ચેતવણી આપવામાં આવી છે.




