
ધોની મારો આદર્શ, ફિનિશર બનવું છે મારું લક્ષ્ય IPL રાતોરાત સ્ટાર બન્યા બાદ મુકુલ ચૌધરી થયો ભાવુક મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી આઈપીએલ ૨૦૨૬ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નવો સિતારો ઉભરી આવ્યો છે. ૨૧ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન મુકુલ ચૌધરીએ માત્ર ૨૭ બોલમાં ૭ સિક્સર અને ૧ ચોગ્ગાની મદદથી અણનમ ૫૪ રન ફટકારીને લખનૌને ૩ વિકેટથી યાદગાર જીત અપાવી છે. મેચ બાદ મુકુલે પોતાની સફળતા અને પિતાના બલિદાનની ભાવુક કરી દે તેવી વાત શેર કરી હતી.
મેચ બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં મુકુલ ચૌધરીએ જણાવ્યું કે, હું હંમેશા મહેન્દ્ર સિંહ ધોનીને જાેઉં છું કારણ કે હું પણ એક ફિનિશર છું. તેમનો આઈકોનિક હેલિકોપ્ટર શોટ મારો ફેવરિટ છે. જે રીતે તેમણે ૨૦૧૧માં વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, તે દરેક માટે પ્રેરણારૂપ છે. હું પણ ધોની જેવો બનીને મારી ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી જીતાડવા માંગુ છું. મુકુલનો ક્રિકેટર બનવા સુધીનો પ્રવાસ અત્યંત સંઘર્ષમય રહ્યો છે. મુકુલના પિતા અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા હતા અને પોતે વ્યવસાયિક ક્રિકેટ રમી શક્યા નહોતા. મુકુલે જણાવ્યું કે, તેમના પિતા જ્યારે કોલેજમાં ભણાવતા હતા ત્યારે તેઓ RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ, દીકરાને ક્રિકેટ એકેડેમીમાં પ્રવેશ અપાવવા અને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવા માટે તેમણે પોતાની અધિકારી બનવાની તૈયારી અધવચ્ચે જ છોડી દીધી હતી. પૈસાની વ્યવસ્થા કરવા માટે તેમણે પ્રોપર્ટીનું કામ શરૂ કર્યું. જેથી મુકુલની ફી અને ક્રિકેટ કિટનો ખર્ચ ઉઠાવી શકાય.
મુકુલના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૫માં તેના જન્મદિવસના દિવસે જ તે અને તેના પિતા એકેડેમીની શોધમાં નીકળ્યા હતા. ચુરુ, ઝુંઝુનુ અને સીકર એમ ત્રણ જિલ્લાઓમાં તપાસ કર્યા બાદ, સીકરની નવી શરૂ થયેલી એસબીએસ ક્રિકેટ એકેડેમીમાં તેમણે એડમિશન લીધું હતું. તે સમયે મુકુલને ક્રિકેટ વિશે કંઈ જ ખબર નહોતી અને તેના પરિવારમાંથી પણ કોઈ આ રમત સાથે જાેડાયેલું નહોતું. આજે મુકુલની મહેનત અને તેના પિતાનું બલિદાન રંગ લાવ્યું છે. આઈપીએલના મંચ પર તેના શાનદાર પ્રદર્શનથી હવે તે ભારતીય ક્રિકેટના આગામી મોટા ફિનિશર તરીકે જાેવામાં આવી રહ્યો છે.





